જે આપો એ અત્યારે જ આપો


‘કોઈને સ્વજન કહેતાં પહેલાં દિલને પૂછીએ ને કમસેકમ જાતને છેતરવાનું બંધ કરીએ.’

કોઈ વ્યક્તિ ‘ દેવ ‘ થઈ જાય ત્યારે તેમનાં સગા વ્હાલાઓ બેસણાં, ઉઠમણાં કે વિધીઓમાં પોતાની એટલી બધી ‘ હાજરી ‘ આપે છે… એટલાં કલાકો આપે છે.. જેટલી કયારેક એ જનાર વ્યક્તિના આખાં જીવનકાળ દરમિયાન ન આપી હોય…

અરે ! પરિવાર પરિવાર કરતાં હોઈએ પરંતુ ક્યારેય એક ફોન પણ ન કર્યો હોય…

ત્યારે થાય કે સ્વજન કહેતાં પહેલાં આપણી અંદર રહેલાં ‘ સ્વ ‘ ને ઓળખવો જોઈએ..ને પછી સામે રહેલા ‘ જન ‘ પર સ્વજન કહી શકાય એટલો પ્રેમભાવ રાખવો જોઈએ.

સામાજિક સ્તરે સ્થપાતા સંબંધો અને લોહીનાં સંબંધોમાં હંમેશા અંતર રહેવાનું જ..પણ આ અંતરની સમાંતર જ એક ત્રીજો સંબંધ હોય શકે ને એ છે લાગણીનો સંબંધ.

આવી લાગણીને સમજવી, અનુભવવી અને આપણે જેને આપણાં સ્વજન કહીએ છીએ એને ખરાં અર્થમાં દિલથી, હૃદયથી સ્વીકારી શકીએ.. એનાં સ્વભાવની બધી જ લાક્ષણિકતાઓ સાથે…જેવા છે તેવાં જ…

એનાં જવાથી ઉભો થયેલો શૂન્યાવકાશ, એની પાછળ વ્યક્ત થતી લાગણીઓ, લખાતાં શબ્દો, ક્યારેય કોઈ પૂરી ન શકે એવો ખાલીપો, એનાં આત્માને માટે થતી શાંતિ પ્રાર્થનાઓ,મર્યા પછી અપાતાં સન્માનો ને આવું કેટલું બધું…વ્યક્તિના ગયાં પછી વ્યક્ત થાય છે.

પણ એનાં જીવતેજીવ સન્માન આપી શકીએ, એનાં જેવું પુણ્ય કદાચ કોઈ ન હોય શકે.

સોશ્યલ મીડિયા કે અંગત જીવનમાં વ્યક્તિના જવાની જેટલી નોંધ લેવાય છે એટલી વ્યક્તિની હાજરીમાં નહિ..

આ એક કડવું સત્ય છે.
#hemal_maulesh

સંબંધ નામે દરિયો


સાચવી બેઠાં’ તા સંબંધો જાણ્યું કે જળ હશે,
પણ નહોતી ખબર કે,
તળીયા નીચે રણ ને સામે મૃગજળ હશે.

‘મને તો આ દીઠા ગમતાં નથી પણ શું થાય ? આ જલમમાં( જન્મમાં) તો લેખ જોડાઈ ગયા છે હવે મારાં વાલીડાને(ભગવાનને) કહું છું કે આવતાં ભવે એ ભટકાય નહિ.’

આ ગામઠી ભાષામાં સગા કાને સાંભળેલો એવો સંવાદ છે કે જે એક કાનથી સાંભળીને બીજા કાનેથી નીકળવાની બદલે હૈયા સોંસરવો ઉતરી ગયો છે.આ એવો કોમન સંવાદ છે કે જે ક્યારેક ને ક્યારેક બધાનાં હૈયે ને હિંમતવાળા હોય એની મોઢે આવી જ ચડ્યો હશે.


છે શું આ સંવાદમાં ? કોની રાવ કરે છે ? કોની ફરિયાદ કરે છે ?એવું તે શું છે એમાં કે આટલી ફરિયાદ છતાં આ જન્મે છૂટી શકાતું નથી કે પછી એની સાથે જીવવું છતાં જીવી શકાતું નથી?? એની સાથે રહી શકાય છે પણ સહી શકાતા નથી??


જે સંબંધના જોરે એ માણસ જીવતું હોય એના જ કારનામા ભારે પડ્યાં હોય ત્યારે બોલાય છે. જીવન જોડાયેલું હોય પણ એ જોડાયેલું જીવન તૂટી તૂટીને જિવાતું હોય ત્યારે કે પછી જે ચહેરાઓ જોઈને એક વખત પાનખરમાં પણ જીવનની વસંત ખીલી જતી એ જ ચહેરાઓ પર હવે પાનખરી વાયરો કાયમને માટે ફરફરતો હોય ત્યારે બોલાય છે..

લોહીનાં સંબંધમાં સચવાયેલો લાલ રંગ કાળો પડતો જાય ત્યારે અને એક વખત જે સંબંધ મીઠી નોકઝોંકનો મહોતાજ હતો ત્યાં હવે નજરમાં જ નહિ નાક પર પણ ગુસ્સો દેખા દે ત્યારે બોલાય છે. ક્યાંક સાથે જીવાયેલું બાળપણ હોય તો ક્યાંક સાથે ઊછરેલી યુવાની હોય, ક્યારેક કરૂણતા એવી બને કે લોહીમાંસમાંથી સિંચાયેલો ટૂકડો પણ મોટો થઈને પાંખ ફેલાવે અને એ પાંખમાં સંસ્કારનું જોમ નહિ પણ સ્વાર્થના કાંટા જોડાયેલાં હોય ત્યારે પણ આ સંવાદ બોલાય છે.


કહેવાય છે લોહીનાં સંબંધ નિર્ધારિત હોય છે પણ લાગણીનાં સંબંધ આપણે જાતે પસંદ કરીએ છીએ..પરંતુ લાગે કે આ પસંદગી કે નાપસંદગી જેવો કોઈ ભાગ આપણાં જીવનમાં છે જ નહિ.. કર્તા બનવાની હોડમાં નીકળેલા આપણે, જાત પર એટલાં મુસ્તાક થઈ જઈએ છીએ કે આપણે કરેલાં કર્મોનો હિસાબ ચૂકતે કરવાનો હોય એ વાત સદંતર ભૂલી જઈએ છીએ.

મોટાભાગે આ સંવાદ સીધી લીટીના સંબંધમાં થાય છે.
આ સંબંધ પતિપત્નીનો હોય શકે, ભાઈ બહેનનો હોય શકે, ભાઈભાઈનો હોય શકે, માતાપુત્ર કે પિતા પુત્રનો હોય શકે કે પછી માતા પુત્રીનો પણ હોય શકે. બીજાં બધાં સંબંધો પણ આવું ને આટલું જ દુઃખ પહોંચાડી શકે પણ એની અસર લાંબો સમય રહી નહિ શકે જ્યારે લોહીનાં સંબંધમાં ઉણપ આવે છે તેની ચુભન એ દુભાયેલી વ્યક્તિના સમગ્ર અસ્તિત્વ પર અસર કરે છે.
આમાં લોહીનો સંબંધ ન હોવાં છતાં પતિપત્ની ને એટલાં માટે જોડવા પડે કારણ કે એ સંબંઘ જો સમજદાર હોય તો આવાં કેટલાંય સંબંધોને તૂટતાં બિખરતા બચાવી શકે. એ સમયને સુધારી શકે.

કેમ એક વખતનો ફૂલગુલાબી સમય જાણે કાંટા રહી ગયાં અને આંકડારૂપી ગુલાબ ખરી ગયાં જેવો અહેસાસ પળપળ આપે છે..? જાતે જોડાયેલો કેમ કોઈ સંબંધ સમયનાં બે કાંટાની જેમ સ્થિર નથી રહી શકતો ?
આ પ્રશ્નોના જવાબો આપણી આસપાસ અને આપણી અંદર જ મળી રહે છે.

સ્વસ્થ સંબંધ સ્વસ્થ જીવનનો પ્રયાય છે..આજના ટેન્શનવાળા યુગમાં કોઈ એક બે સંબંધ પર એટેંશન રાખીએ તો જીવન જીવવા જેવું તો જરૂર લાગે.

#hemal_maulesh

#હેમલ_ઉવાચ #writing

#હેમનુ_હલકું_ફૂલકું

સમજણ


                                     અનુભૂતિની દુનિયામાં જેટલા પગલાં મંડાય અને એ પગલે પગલાંનું પગેરું મનની મીરાંત પર છાપી શકાય તો ગમે ત્યારે ગમે ત્યાંથી સમજણની સરવાણી ફૂટી શકે છે ખરી …હજુ હમણાંની જ વાત . અમારા કામવાળા બહેન એકદમ ટાઇમસર આવે અને ટાઇમસર કામ પૂરું કરીને જાય . ન ખોટી હાયવોય કે ન ઉતાવળ . ત્રણેક દિવસ પહેલા જ એ એના ટાઈમ કરતાં મોડા પડ્યા . અમસ્તું જ મારાથી બોલાય ગયું ..આજે તો તમે મોડા ? હું કઈ કરાવું તો તમારે જલ્દી કામ પતે ? ને સરળ ભાષામાં જવાબ મળ્યો . ના રે દીદી ! રોજનું થયું .રોજ ઊઠીને જલ્દી જલ્દી ઘરનું કામ પતાવી , છોકરાઓને સ્કૂલે મોકલીને આવું છું ……ઘેર તો જાણે હડિયાપાટી થાય છે .. આજે કઈક જુદો દિવસ ઊગ્યો છે . થોડું મોડુ થયું છે , જે ઘેર કામ કરવા જઈશ એનું થોડું ઘણું સાંભળીશ .ને હસીને જવાબ પણ દઈ દઇશ કે , અમેય તમારા જેવા માણસ જ છીએ. રોજ કામ પર ટાઇમસર આવું છું ત્યારે કઈ નથી બોલતા કે હા , જો તું ટાઈમસર આવી જાય છે , તો પછી આજે હું મોડી પડી છું તો મને પણ ખબર પડશે કે , મારે કોના ઘેર મારૂ ઘર માનીને કામ કરવું કે , મને જેટલો પગાર મળે તેટલું જ કામ કરવું ….ને બીજું દીદી આ એક દિવસ રોજની દોડધામમાંથી  હાશકારો મળ્યો છે મને તો જાણે સોનાનાં સુરજ જેવુ લાગે છે .

કેટલી સીધી સાદીને સમજણપૂર્વકની વાત . રોજની ઘટમાળમાં ક્યાંક નાનકડો ગેપ પડે છે એ ગેપની સુંદર મજાની ખેપ લેવાની વાત . હમેંશા જોવા મળે છે કે , રોજના નિયત સમયમાં થતું કામ થોડું ઘણું પણ આડું અવળું થાય તો માણસોનો આખો દિવસ જાણે બગડતો હોય છે . સ્પીડ ક્યાંક ધીમી થઈ કે તેની અસર દિવસ આખામાં પ્રસરે છે અને જે કઈ પણ કામ થાય છે એ સંતાપ સાથે થાય છે . એટ્લે કે , ,કામનો પૂરો આનંદ મળતો નથી ને ઊલટું એ કામ કરવાથી થાક વર્તાય છે . કારણ કે રોજની ઘરેડ પ્રમાણે જીવતી જિંદગી તેના કમફર્ટ ઝોનમાંથી બહાર આવવા નથી માગતી .  આ પ્રશ્ન મોટે ભાગે ગૃહિણીઓને જ નડે છે એવું નથી . એકધારી લયબધ્ધ જિંદગી જીવતા બધા લોકોને આ પ્રશ્ન નડે છે . ને આમ જુઓ તો ઉકેલ સાવ હાથ વગો ..મોડુ તો થયું જ છે પરંતુ જો મનમાં સતત એ જ ભાવ સાથે ચાલીયે તો સંઘ દ્વારકાએ પહોંચતા પહોંચતા થાકી જશે . માણસ કામ કરતાં કરતાં નથી થાકતો એટલો એ ચિંતા અને ક્રોધથી થાકે છે . આવી નાની વાતોનો સરવાળો મંડાતો જાય ત્યારે ખબર પડે છે કે આનંદનું પલડું ઉપરને ઉપર ચડતું જાય છે અને ચિંતા કે દુખનું પલડું નમતું જાય છે …..ને ‘નમે એ સૌને  ગમે ‘ એ કહેવતને અહિયાં ખોટી સાબિત કરે છે .

જીવન સરળ છે અને સરળ બનીને રહે એની માટે બહુ સરળ પ્રયત્નો જ કરવાના હોય છે . દિવસભરની નાની નાની ખુશીઓનો ભેગી કરતાં જવાની છે બસ . રાત્રે સૂતા પહેલા આ બધી જ ઘટનાઓને યાદ કરીને સાચા ખોટાના મનોમન ભાગલા પાડીને , સારી ક્ષણોને તારવીને મનના સિંહાસન પર બેસાડી દેવાની હોય છે . જે રાતભર સુખની નીંદર આપીને પોતે બીજા દિવસના આવા જ સુખની તૈયારીઓ આ કુદરત પાસે કરાવવા માટે મહેનત કરશે .

“તલાક તલાક તલાકનાં દરવાજા સદાને માટે બંધ”



‘એક સંસ્કૃત સુભાષિત છે કે, ‘લગ્ન એક એવો જુગાર છે જેમાં પુરુષને પોતાની સ્વતંત્રતા અને સ્ત્રીને પોતાની પ્રસન્નતાને દાવ પર લગાડવી પડે છે.’


લગ્નમાં બંને પતિ પત્ની કૈંક ગુમાવીને ઘણું બધુ મેળવે છે. પુરુષ એક જવાબદારીથી બંધાય છે. ને સ્ત્રી પોતાના વ્યક્તિત્વને પોતાના પરિવાર અનુરૂપ ઢાળે છે. આ બંને વ્યક્તિઓ પોતાનાં ગુણોનો સરવાળો કરે અને નબળા પાસાની બાદબાકી કરતાં જાય તો જ એ લગ્નજીવન સફળતાપૂર્વક જીવી શકે છે. પરંતુ આવું થતું જોવા મળતું નથી. એકબીજા પાત્રને સ્વીકાર કરવામાં ઘણી સમજદારીની જરૂર ઊભી થાય છે. લગ્નજીવનની તિરાડોને સતત પૂરતા રહેવી પડે. ઘણાં પ્રયત્નો છતાં પણ આ તિરાડ પહોળી થતી જ રહે તો લગ્ન નામની ઇમારત ઢેર થઈ જાય છે. સ્વાભાવિક છૂટાં પાડવા માંગતા બે વ્યક્તિઓની સાથે અનેક વ્યક્તિઓ એકબીજાથી દૂર થાય છે ને એમાં પણ દાંપત્યજીવન દરમ્યાન જો બાળકો થયા હોય તો એમની હાલત કફોડી થાય છે. લગ્નજીવનનો અંત આણવો સહેલો નથી અથવા એમ કહીએ કે એ આખરી ઉપાય હોય છે.

આવા અનેક બનાવો સમાજમાં બનતા રહે છે. ભારત દેશમાં સર્વ ધર્મનાં લોકો રહે છે. એમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની બહુમતી છે. હિન્દુ લો મુજબ છૂટાછેડાના કાયદા પ્રમાણે છ મહિનાનો સમયગાળો બંને પક્ષને આપવામાં આવે છે. જેથી કરીને આ સમયગાળા દરમ્યાન પોતાનાં નિર્ણયને સુધારવાનો એ દંપતીને મોકો મળે. મુસ્લિમ સમાજ કુરાને શરિફને ધ્યાનમાં રાખીને ધર્મ અનુસાર તલાકની રીતને અનુસરે છે. જ્યારે અભ્યાસુ લોકોનાં કહેવા અનુસાર કુરાનમાં ક્યાંય સીધી રીતે ત્રણ વાર તલાક બોલીને પત્નીથી છૂટાં થવાનો હક મળે એવું દર્શાવવામાં આવ્યું નથી. છતાં એવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મુસ્લીમ સ્ત્રીને રૂબરૂમાં ,ફોન પર, પત્ર દ્વારા ,સોશ્યલ મીડિયા દ્વારા પણ તલાક તલાક તલાક એમ ત્રણ શબ્દો બોલીને એ સ્ત્રીની જિંદગીને તહસનહસ કરી નાખે છે.

આવી કેટલીયે પીડિત મહિલાઓએ આ ત્રણ શબ્દો દ્વારા કાયમ તોળાતી રહેતી તલવાર સામે અવાજ ઉઠાવવાનો નિર્ણય કર્યો. એક બાજુ સરકાર દ્વારા મહિલા સશક્તિકરણનું અભિયાન ચલાવવામાં આવતું હોય અને બીજી બાજુ ભારતમાં રહેતી મુસ્લિમ મહિલા જ્યારે ખરાબ લગ્નજીવનથી પીડાતી હોય ત્યારે સતત ભય હેઠળ જીવતી હોય કે ક્યાંક પતિ તરફથી તલાક ન આપી દેવાય. એવું પણ જાણવા મળ્યું છે કે, ઇસ્લામીક લો અનુસાર સ્ત્રીઓ પણ તલાક આપી શકે છે. સામાજિક કે આર્થિક રીતે પતિ પોતાની પત્નીની જરૂરિયાત પૂરી કરી શકતો ન હોય , પરિસ્થિતિ તદ્દન અસહય હોય ત્યારે જ પત્નિ પતિથી છૂટા થવા માટે તલાકની અપીલ કરી શકે છે. જેને ઇસ્લામીક લોમાં ‘ખુલા’ કહેવામાં આવે છે પણ જરૂરી જાગૃતિનાં અભાવે આ પ્રથા પ્રચલિત ન થઈ અને આવેશમાં આવીને કે જાણીજોઈને ત્રિપલ તલાક બોલીને લગ્નજીવનનો અંત શક્ય બન્યો.

આજ અનુસંધાનમાં ભારત સરકારે તાજેતરમાં ઐતિહાસિક પગલું લીધું છે. આ કાયદા અનુસાર મુસ્લિમ પતિ પોતાની પત્નીને ત્રણ તલાક દ્વારા છૂટી નહીં કરી શકે અને જો આવું થશે તો એ અપરાધ ગણવામાં આવશે . ભારત સરકારનું આ પગલું એવી સ્ત્રીઓને દોઝખમાંથી મુક્તિ આપશે જે આ ત્રાસદાયક ત્રણ તલાક દ્વારા આચરવામાં આવતા અત્યાચારોનો સામનો કરી રહી છે. ભારત સરકારે શાયરાબાનુ નામની સ્ત્રીને સાથ આપ્યો છે. શાયરાબાનુ આ કેસની મુખ્ય અરજદાર અને સમગ્ર દેશની મુસ્લિમ મહિલાઓ માટે એક આશાનું કિરણ બની. તેના પિતા શ્રી ઇકબાલ અહેમદે પુત્રીની લડાઈમાં સાથ આપ્યો અને બીજી સ્ત્રીઓને ત્રિપલ તલાકમાંથી મુક્તિ મળે એ માટે લડત કરવાનું નક્કી કર્યું. તેમની પુત્રીને તેના પતિ દ્વારા ડિસેમ્બર ૨૦૧૫માં તલાક આપવામાં આવ્યા હતા અને તે અંગેનું તલાક નામું ઘરે પોસ્ટ દ્વારા મોકલીને પંદર વર્ષનાં લગ્નજીવનનો અંત આણ્યો હતો. બે મહિના બાદ તેણી સુપ્રીમ કોર્ટમાં ગઇ અને દલીલ કરી કે, ‘મુસ્લિમ પતિનો સળંગ ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપવાનો અધિકાર સંપૂર્ણપણે એક પક્ષીય વિસંગત નિરપેક્ષ અને કોઈપણ જાતના તર્ક વિનાનો છે તે મુસ્લિમ સંસ્કૃતિમાં ક્યાંય સ્પષ્ટ નથી અને તે મુસ્લિમ કાયદાનો ભાગ નથી.’


કાયદામંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં ત્રણ તલાક બિલ અથવા મુસ્લિમ મહિલા બિલ 2017માં પ્રસ્તુત કર્યું હતું અને ત્રણ તલાકને ગેરકાનુની ગણાવી મુસ્લિમ મહિલાઓના અધિકારોની રક્ષા માટે ત્રણ તલાકનો અંત કરવા સંસદમાં રજૂ કર્યું અને કહ્યું હતું કે, ‘ત્રણ તલાક એ વિશ્વાસ કે ધર્મની બાબત નથી પરંતુ લિંગ ન્યાય લિંગ સમાનતા અને લિંગ ગરિમાનો પ્રશ્ન છે તેમાં જે સ્ત્રીઓ ભોગ બનેલી છે તેમનું દુઃખ તેમના સિવાય અન્ય કોઈ સમજી શકે નહીં.’ આ બિલ પાસ થયા બાદ મુસ્લિમ મહિલાઓ પર દમન અને મનમાની નહીં ચાલે.

આ દિવસથી ભારત સરકાર મહિલા સશક્તિકરણની તરફ વધુ એક પગલું ઉઠાવ્યું છે. આજ બિલ પર સર્વોચ્ચ અદાલત દ્વારા મહોર લગાવી દેવાઇ અને હવેથી ત્રણ તલાક સંપૂર્ણપણે ગેરકાનૂની ગણવામાં આવશે આ ચુકાદાથી મુસ્લિમ સ્ત્રીઓએ રાહતનો શ્વાસ લીધો. સર્વોચ્ચ અદાલત દ્વારા ત્રણ તલાક પર પ્રહાર કરીને એક સુધારાત્મક પગલું લીધું છે કે જે પ્રગતિશીલ રાષ્ટ્રોને રૂઢિચુસ્ત વિચારધારામાંથી સ્ત્રીઓને બહાર લાવશે અને તેના રૂપાંતર માટે નવા દ્વાર ખોલશે આ ચુકાદો ચોક્કસપણે દેશમાં મુસ્લિમ મહિલાઓ માટે સમાનતાના નવા યુગની શરૂઆત કરે છે.

1978ની સાલમાં શાહબાનોને 62 વર્ષની વયે તલાક મળ્યા હતા ને તેણીએ ત્રિપલ તલાક વિરુધ્ધ અવાજ ઉઠાવ્યો હતો. પહેલાં 1985માં અને આજે 2019માં બે વખત સંસદમાં સર્વોચ્ચ અદાલતનાં ચુકાદા બાદ આજ મુદ્દા પર ચર્ચા થઈ. શાહબાનોથી શાયરાબાનુ સુધી પહોંચતા લગભગ 34 વર્ષ નીકળી ગયા. લાંબી લડાઈ પછી મોડી મોડી પણ મુસ્લિમ મહિલાઓની ત્રિપલ તલાકનાં મુદ્દા પર ઐતિહાસિક જીત હાંસિલ થઈ છે.


લાઈફ લાઇન : ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, માનનીય સુપ્રીમ કોર્ટે આપેલો ત્રણ તલાક પરનો ચુકાદો ઐતિહાસિક છે તે મુસ્લિમ મહિલાઓને સન્માન આપે છે અને મહિલા સશક્તિકરણ માટે એક શક્તિશાળી માપદંડ ઊભો કરે છે.’